મહાશિવરાત્રીના મેળામાં ૫ ઝોનમાં SRP, SDRF સહીત ૨૫૦૦ નો બંદોબસ્ત
૭ વોચ ટાવર, અને ભવનાથ તેમજ સીટી વિસ્તારમાં ૨૮ રાવટીઓ
૫૧ CCTV કેમેરાથી સમગ્ર મેળા ઉપર પોલીસની રહેશે બાજ નજર
દૂરબીન મીડિયા ટીમ તા. ૨૦/૦૨/૨૦૨૫
મહાશિવરાત્રી મેળામાં જૂનાગઢ પોલીસ વિભાગ દ્વારા જડબેસલાક પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે, જેમાં દામોદર કુંડ ઝોન, રૂપાયતન ઝોન, ભવનાથ ઝોન, ગીરનાર ઝોન, અને સીટી ઝોન મળીને કુલ પાંચ ઝોનમાં એસઆરપીની 2 કંપની સહીત ૨૫૦૦ નો પોલીસ બંદોબસ્ત મુકવામાં આવશે.
જૂનાગઢ રેંજ આઈજી નિલેશ ઝાઝડીયા દ્વારા બંદોબસ્ત અંગે જણાવ્યું કે, ભાવિકોની સલામતી અને સુરક્ષા માટે પોલીસ દ્વારા ૧૨ ડીવાયએસપી, ૨૨ પી.આઈ., ૧૨૩ પીએસઆઈ, ૧૦૨૯ પોલીસ જવાનો, ૧૩૦ ટ્રાફિક પોલીસ, ૨ એસઆરપીની કંપની, ૫૨૯ હોમગાર્ડ, ૬૨૬ જીઆરડી સહીત ૨૫૦૦ નો બંદોબસ્ત મુકવામાં આવશે, દરેક ઝોનમાં એક ડીવાયએસપીનું મોનીટરીંગ રહેશે, સાથે એક પી.આઈ., એક પીએસઆઈ, એસઆરપી જવાનો તૈનાત રહેશે.
પોલીસ જવાનો બોડીવોર્ન કેમેરાથી સજ્જ હશે, વોકીટોકી, વાયરલેસ સુવિધા સાથેની ૨૮ રાવટીઓ, ૭ વોચ ટાવર ઉભા કરવામાં આવ્યા છે. ખિસ્સા કાતરુ માટે સાદા ડ્રેસમાં ટીમો રહેશે, તેમજ બાળકો અને મહિલાઓની સુરક્ષા માટે સાદા ડ્રેસમાં શી ટીમ દ્વારા વોચ રાખવામાં આવશે. તેમજ એસઓજી, એલસીબી અને સર્વેલન્સના સ્ટાફ તેનાત રહેશે. સાથે જ ભવનાથમાં ૫૧ સીસીટીવીથી અને આકાશ મારફત ડ્રોનથી બાજ નજર રાખવામાં આવશે. તેના માટે ભવનાથ ખાતે એક અલગથી કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવશે, આખાયે મેળા ઉપર પોલીસની બાજ નજર રહેશે. ગિરનાર પર્વત પર પણ પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે, એન્ટી રાયોયના સાધનો, પ્રહરી વાહનો અને બેગેજ સ્કેનર મૂકવામાં આવશે. આમ શિવરાત્રી મેળામાં પોલીસનો સજ્જડ અને જડબેસલાક બંદોબસ્ત મુકવામાં આવ્યો છે.